પદ- ૬૧ …………………૧/૧
એકાંતિક ધર્મના ઉપદેશ વિષે.
( રાગ કલ્યાણ , તાલ દાદરા)
વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા;
મોક્ષ પામવા, સુખેથી ધામમાં જવા. વિવેકી. (ટેક)
આત્મજ્ઞાની સંતનો, પ્રસંગ જો બને;
તો જરૂર પ્રગટ હરિ, મેળવે તને. વિવેકી. (૧)
પ્રગટ અગ્નિથી બને, રસોઇ તો નવી;
અંધકાર જાય, પ્રગટ થાય જો રવિ; વિવેકી.(૨)
પ્રગટ અડદથી વડાં, બને મળે યદી;
વાતથી વડાં બની, શકે નહીં ક્દી. વિવેકી.(૩)
તેમ પ્રગટ સંત, પ્રગટ શ્રી હરિ મળે;
જન્મ અને મરણ તણું, દુઃખ તો ટળે. વિવેકી.(૪)
ધર્મ જ્ઞાન ભક્તિને , વૈરાગ્ય જે વિષે;
એવાં સંત સેવતાં જ, મોક્ષ તો થશે. વિવેકી.(૫)
વારિને વલોવે માખણ, ક્યાં થકી મળે;
તેમ વેશધારી થકી, પાપ શું ? બળે. વિવેકી.(૬)
રેતીને પિલાવે ક્યાંથી, તેલ નીકળે;
ઢોંગી, ધૂર્ત ગુરુ સેવે તારું શું ? વળે. વિવેકી.(૭)
સદ્ગુરુ જરૂર, ઓળખાય લક્ષણે;
બ્રહ્મનિષ્ટ સેવતા જ, કાર્ય તો બણે. વિવેકી.(૮)
વિષય તણો ત્યાગ થાય, હૃદય ઉઘડે;
જરૂર એહને પ્રસંગે, મોક્ષ તો જડે. વિવેકી.(૯)
વાંઝણી ધેનુથી દૂધ, ક્યાંથી પામશો;
ધર્મહીન સંત સેવી, ક્યાં ? પછી જશો. વિવેકી.(૧૦)
દેવતાને દૂર્લભ, સતસંગ પામીને;
ખચિત ટાળજો. વિવેકી સકળ પ્રાણીને. વિવેકી.(૧૧)
શ્રીહરિના પુત્ર પૌત્ર, વચન જે વદે;
લક્ષ આણી દક્ષ સકળ, ધારજો હૃદે. વિવેકી.(૧૨)
__________________________________________
યદી= જો,