વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ ૧/૮

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
	જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ...૧

સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
	જેને ભવબ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ...૨

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ;
	જેને શેષ સહઝ્ા મુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ...૩

વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
	નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ...૪
 

મૂળ પદ

વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

૨. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે... સં. ૧૮૮૦ની સાલની વાત છે.માઘ માસના કૃષ્ણ પક્ષની તેરસનો દિવસ હતો. ગઢડામાં શ્રીજીમહારાજ પ્રાત:કાળે સ્નાનાદિ નિત્યકર્મ પતાવીને દાદાખાચરના દરબારમાં વાસુદેવનારાયણના ઓરડા પાસે સભા કરીને બિરાજમાન થયા હતા. સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી ઇત્યાદિ સંતો તથા દાદાખાચર, સુરાખાચર, પર્વતભાઈ વગેરે હરિભક્તો સભામાં બેઠા હતા. એ વખતે જોગાનુજોગ શંખલપુરનો વિજયશંકર નામનો એક બ્રાહ્મણ દેવીભક્ત ત્યાં આવી ચડ્યો. એને કપાળે સિંદૂરની આડ કરી હતી, હાથમાં ત્રિશૂળ રાખ્યું હતું અને માથે લાલ રંગનો રૂમાલ બાંધ્યો હતો. દૂરથી જ દંડવત્ પ્રણામ કરતો કરતો એ મહારાજ પાસે આવ્યો. પછી મહારાજની સન્મુખ આસન જમાવતાં એ બોલ્યા: “હે સહજાનંદ સ્વામી ! આપ તો ભગવાન છો આપ જો આજ્ઞા આપો તો માતાજીનો એક ગરબો આપને ગાઈ સંભળાવું.” મહારાજે એનો ભાવ જોઈ હસતાં હસતાં કહ્યું: “ભલે સંભળાવો .” માઈભક્તે તો મહારાજની આજ્ઞા મળતાં જ લહેકા સાથે ગાવા માંડ્યું: ‘માં તું પાવાની પટરાણી, ભવાની માં કાળકા રે લોલ.’ દેવીભક્ત ખૂબ ભાવથી ગાઈ રહ્યો હતો : ‘માડી તારા મુખની મરોડતા જોઈ . લોભાણું મુખ ચંદા તણું રે લોલ . માડી તારું મુખડું જોવાને કાજ, આવે છે કુંવર નંદનો રે લોલ.’ એની ગાવાની હલકથી, ગરબાના ઢાળથી મહારાજ પ્રસન્ન થયા અને તેને શિરપાવ અપાવ્યો. મહારાજને ફરી દંડવત્‍ પ્રણામ કરીને તે ગયો. પછી મહારાજે સૂચક નજરે સભામાં બેઠેલા પ્રેમાનંદ સ્વામી તરફ જોતા કહ્યું: ‘સ્વામી ! કેવો લાગ્યો ગરબો ? ઢાળ બહુ સુંદર છે, નહિ ? એના રચનારે બહુ ભાવથી એમાં દેવીનો મહિમા ને એના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આવું કંઇક રચવું જોઈએ!” પ્રેમાનંદ સ્વામી મહારાજના કહેવાનું તાત્પર્ય સમજી ગયા. તેરસની રાત્રે જ પ્રેમસખીએ શ્રીહરિની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને, એમની પૂર્તિમાં તલ્લીન બનીને ‘વંદુ સહજાનંદ રસરૂપ’ એ ‘ધ્યાનની ગરબી’ ની રચના કરી નાખી. બીજે દિવસે એટલે કે સં. ૧૮૮૦ના મહાવાદી ચૌદશને શિવરાત્રીને દિવસે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને તુલસીની નવી શ્વેત કંઠીઓ કંઠમાં પહેરી હતી તથા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં શ્રીજીમહારાજે કીર્તન ગાવાની આજ્ઞા કરી એટલે પ્રેમાનંદ સ્વામી ઊભા થયા. એમના હાથમાં સારંગી હતી. એમણે મહારાજને વંદન કરીને ગરબી ઉપાડી; ‘વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સાર ને રે લોલ ; જેને ભજતા છૂટે ફંદ , કરે ભાવ પાર ને રે લોલ .’ સૌ પ્રથમ શ્રીહરિની વંદના કરી પ્રેમસખી ધીરે ધીરે શ્રીજીમહારાજના અંગોની શોભાનું બહુ બારીકાઈથી વર્ણન કરતા ગયા. મહારાજના નખશીખ સ્વરૂપનું ધ્યાન સહેજે થાય એ રીતે સ્વામી માહાત્મ્યજ્ઞાન સહિત ભાવપૂર્વક એક પછી એક પદ ગાતા ગયા. સાંભળનારા સર્વે એ રસિક રૂપનીરૂપણનું શ્રાવણ કરતા કરતા અલૌકિક પ્રેમની રસ-સમાધિમાં લીન થઇ ગયા. સૌને થયું કે અમે તો રોજ દર્શન કરીએ છીએ પણ પ્રેમાનંદે પ્રભુને જે રીતે નિહાળ્યા છે તે રીતે અમે ક્યારેય અવલોક્યા નથી. પ્રેમસખીએ તો સાચે જ પ્રેભુને નીરખીને નેણામાં ઉતારી લીધા છે. હ્રદયમાં સંઘરી લીધા છે. એકેક કરતાં આઠ પદ પૂરાં થતા મહારાજે એમણે બિરદાવ્યા ત્યારે સભામાં આનંદની હેલી ઊતરી આવી. સૌ એકી અવાજે બોલી ઉઠ્યાં : ’સહજાનંદ સ્વામી મહારાજની જય!’ આશીર્વાદનો વરદ હસ્ત સભાની સામે ધરીને મહારાજે કહ્યું: “બહુ સારાં કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનને મૂર્તિનું ચિંતવન છી, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્‍ કરીએ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થાતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહિ અને એવી રીતિ ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે ... અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે એ તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી.” આજે તો મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા હતા, તેથી “પ્રેમસખી” સામે જોઈ મહારાજ વળી આગળ બોલ્યા : “ જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ , કર્મ , ને માયાના પાશ થકી મુકાણો છે અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના માબાપ પણ કૃતાર્થ થયા જાણવા.*( વચનામૃત : ગ.મ. પર. ૪૮) કાવ્યકૃતિ: વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ જેન ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. ૧ સમરું પગટરૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ; જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. ૨ જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ; જેને શેષ સહસ્ત્રમુખ ગાય , નિગમ નેતિ કહે રે લોલ. ૩ વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ; નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ. ૪ ઉત્પત્તિઃ- જેઓના હૈયામાંથી હંમેશા પ્રભુપ્રેમનો પમરાટ પ્રસર્યા કરે છે. જેમનાં અંતરસિતારના તારમાંથી પ્રણયભક્તિનાં સ્પંદનો રેલાયા કરે છે, એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામી એટલે પ્રેમભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. શ્રીજી મહારાજના દર્શન જ જેમનું જીવન બની ગયું છે. શ્રીહરિ હિંડોળે હિંચકતા હોય કે સંતોની પંગતમાં પીરસતા હોય, સભામાં ગહન રહસ્યો સમજાવતા હોય કે પછી ભક્તોની સંગે ઘેલામાં સ્નાન કરતાં હોય, શ્વેત વસ્ત્રો ધર્યાં હોય કે પછી સોળે શણગાર સજ્યા હોય, દિવ્ય કે માનુષી ગમે તે લીલા કરતા હોય પણ પ્રેમસખી પ્રેમાનંદસ્વામી તેનું કીર્તન બનાવ્યા વિના રહી શકે ખરા? પ્રેમસખીની કલમ તો જેવું દર્શન તેવું સર્જન કરી આપે છે. એ ન્યાયે સંવત્ ૧૮૮૦ ના મહા વદિ ચૌદસના દિવસ છે . દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ સહજાનંદસ્વામી સભા મધ્યે બિરાજમાન છે. સર્વશ્વેત વસ્ત્રો ધારણ કર્યાં છે. કંઠને વિશે તુલસીની નવીકંઠી ધારણ કરી છે. પાઘમાં પીળાં પુષ્પનો તોરો લટકી રહ્યો છે. લાલ, પીળાં અને ગુલાબી એમ અવનવાં પુષ્પોની ગૂંથાયેલી માળા ગ્રીવામાં શોભી રહી છે. અનેક પ્રકારનાં હાથનાં લટકાં કરી સભાને સંબોધી રહેલ એ શ્રીહરિની અનુપમ મૂર્તિને સભામાં બેઠેલા પ્રેમાનંદસ્વામી એક નજરે નિહાળી રહ્યા છે. અંગેઅંગનું ભાવથી ધ્યાન ધરી રહ્યા છે. જોતજોતામાં એ મૂર્તિ હૃદયમાં કંડારાઈ ગઈ. અને પ્રેમભક્તિનું પૂર આવતાં પ્રેમાનંદસ્વામી ઊભા થઈ શ્રીહરિની સન્મુખ આવી લાંબો હાથ કરી પ્રભુની મૂર્તિ નિહાળતા ગયા, રચતા ગયા, નાચતા ગયા અને ગાતા ગયા પ્રસ્તુત પદ.

વિવેચન

આસ્વાદ : પ્રેમસખી પ્રેમાનંદે ‘ ધ્યાનના અંગની આ ગરબી શ્રી સહજાનંદ સ્વામીના વ્યક્તિત્વની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલીને રચી છે. કવિએ પોતાના ઈષ્ટ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણની રસિક રૂપમાધુરીમાં રસલીન બનીને, હૈયા સાકાર થતા ઉત્કટ સ્નેહ તેમજ વિવિધ ભાવસંવેદનોની પરંપરા આ રસાત્મક પદમાળામાં અભિવ્યક્ત કરી છે. આ પદમાળા સાંભળીને અત્યંત પ્રસન્નપણે શ્રીજીમહારાજે ભરી સભામાં કવિને બિરદાવતા કહેલું કે “બહુ સારાં કીર્તન ગાયાં.આ કિર્તનને સંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે. માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્‍ પ્રણામ કરીએ.” ( વચનામૃત ગ.મ. પર. ૪૮ ) સ્વયં ભગવાન ઊઠીને ભક્તને દંડવત્‍ પ્રણામ કરવાનું વિચારે ત્યારી ભક્તની પ્રેમલક્ષણા ભક્તિની પરકાષ્ઠા આવી જાય છે. પ્રસ્તુત પદાવલિમાં સ્વેષ્ટ સ્વામી સાહજાનંદજીના અનુપમ અંગોપાંગનું રસિક રૂપનિરૂપણ કવિએ એવી ખૂબીથી કર્યું છે કે એમાં ઊર્મિનું સાતત્ય એવું અનુભવાય છે કે સાંભળતાં જ દિવ્યરસમાં રસલીન થઇ જવાય ! ‘ વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ. ‘ કવિ સૌ પ્રથમ શ્રી સહજાનંદ મહાપ્રભુજીને વંદના કરે છે. એ સહજાનંદ પ્રભુ કેવા છે ? તો કવિ કહે છે, એ સહજાનંદ રસરૂપ છ. આસ્વાદ્ય છે. ઉપનિષદો જેને “रसो वै सः” કહે છે તે જ આ પરમાત્મા છે.સર્વે રસ પરમાત્માની મૂર્તિમાં સમાયેલા છે. ભગવાનની મૂર્તિની શોભાને સરખાવી શકાય. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિના સારરૂપે પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પરમાત્મા સારરૂપ છે. આવા રસરૂપ, અનુપમ સારરૂપ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીને ભજતાં અજ્ઞાનરૂપ આવરણ આપોઆપ ટળી જતાં જીવ ભવસાગર તરી જાય છે. કારણ શરીરરૂપ માયા વજ્રસાર જેવી છે. જીવમાં રસાયેલો એ અનાદિનો ફાંસો છે. પરમાત્માના સ્વરૂપ ધ્યાનથી આ અજ્ઞાનમય કારણદેહ બળીને ભસ્મસાત્ થઇ જાય છે ! અને એ જ મુક્તિનું પ્રથમ સોપાન છે. અનાદિની અજ્ઞાનતા ટળતા જીવ બ્રહ્મરૂપ પરબ્રહ્મની ભક્તિ કરી મોક્ષના પંથે વળે છે. સહજાનંદ પ્રભુ પ્રગટ સુખના ધામરૂપ છે. ‘સુખ’ ની સાચી વ્યાખ્યા હજી સુધી તો આ સંસારમાં સમજવામાં નથી આવી. કારણ કે સંસારના સુખો હકીકતમાં ઈચ્છાપૂર્તિ સિવાય કાંઈ નથી. અહીં ‘ એ સુખ ‘ ની વાત નથી. આ તો શાશ્વત દિવ્ય સુખની વાત છે. પરંતુ એ સુખ જેણે પણ ભોગવ્યું છે યા ચાખ્યું છે એની વાણી મૌનના મહાસાગરમાં ખોવાઈ ગઈ છે. પરિણામે એ ‘સુખ’ ની કલ્પના પણ કલ્પનાતીત છે. આવા પ્રગટ સુખધામરૂપ પ્રભુના અનુપમ નામને સ્મરીને શંકર, બ્રહ્માદિક મોટા દેવો પણ નિષ્કામ થાય છે. એ હરિ તો અક્ષરબ્રહ્મના પણ આધારરૂપ છે . એનો પાર કોઈ પામી શકતું નથી. ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપાર છે , અગાધ છે. પોતાના સહસ્ત્ર મુખથી સદાકાળ શેષજી એમનો મહિમા ગાય છે, છતાય એનો અંત ક્યારેય આવતો નથી અને આવશે પણ નહિ. તેથી જ વેદાંત એમને માટે नेति नेति – न इति न इति એ આ નહિ – આ નહિ એમ કહીને જ અટકી જાય છે. ભગવાનની મહત્તાનો તાગ મેળવવો એ આકાશના અંતનો તાગ મેળવવા બરાબર છે. છતાય એવા પ્રગટ સુખધામરૂપ પ્રભુ ભક્તવત્સલ બનીને કૃપા કરી પૃથ્વી ઉપર મનુષ્યરૂપ પ્રભુ ભક્તવત્સલ બનીને કૃપા કરી પૃથ્વી ઉપર મનુષ્યરૂપે અવતારી સહજાનંદરૂપે સત્સંગમાં સાંપડ્યા છે એ એમણે કરુણાનો આવિષ્કાર છે ! પ્રેમસખી ભગવાન શ્રી સહજાનંદ પ્રભુના સુંદર અનુપમ મનુષ્યદેહ સ્વરૂપનાં પ્રત્યેક અંગોપાંગનું રસિક રૂપનિરૂપણ કરતાં પહેલા એ પ્રભું જુગલ ચરણમાં વંદના કરી ગદ્‍ગદ કઠે પ્રભુને પ્રાર્થના કરે છે કે “ હે નાથ ! આપનું નખશિખ સ્વરૂપ સદાય મારા અંતરમાં રમી રહો !” આ પદ્મમાં કવિની પ્રેમલક્ષણા ભક્તિની પ્રબળ ભાવોર્મિનો ઉત્કટ આવિષ્કાર થયો છે, તેથી એમાં મૂળગત પ્રણયસભર દિપ્તી સહેજે અનુભવાય છે. અહી ભક્તિ શૃંગારની પોતાની માર્મિક અનુભૂતિ કવિએ કુશળતાથી દર્શાવી છે. પ્રત્યેક પંક્તિને છેડે સમૂહમાં ગાવાને અનુકૂળ ગે‌યતાવર્ધક શબ્દ ‘લોલ’ મૂકીને કવિએ પદમાળામાં લય, માધુર્ય અને રંજકતાનો સમન્વય સાધ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક મંદિરમાં સંધ્યા આરતી બાદ પ્રેમાનંદ સ્વામી રચિત પ્રભુની ‘ સ્વાભાવિક ચેષ્ટા’ નાં પદો ગવાય છે. પ્રેભુની સ્વાભાવિક ચેષ્ટાઓ યાને નિત્યના લીલા ચરિત્રો સંભારવાથી મન નિર્મળ બને છે. મનની શાંતિ અને અંત:કરણની શુદ્ધિ વિના ધ્યાનનું સુખ આવતું નથી.. “સ્વાભાવિક ચેષ્ટા”નાં ગાનને અંતે થોડી વાર ધ્યાન કાર્ય બાદ એના અનુસંધનમાં ‘વંદુ સહજાનંદ રસરૂપ ‘ એ ધ્યાનની ગરબી ગાવામાં આવે છે. એમાં વર્ણવેલા શ્રીહરિના નખશિખ સ્વરૂપ નિરૂપણથી મન એ સુખધામરૂપ સ્વરૂપમાં રસલીન બને છે અને એ જ સ્વામિનારાયણ સંપ્રદાય આધ્યાત્મિક સાધનાનો પાયો છે. જે વિરલ ક્ષણે અંતર પ્રભુને ઓળખે છે, એ ક્ષણ પણ ધન્ય થેઈ જાય છે ! આવી કોઈક વિરલ ઘડીએ સહજાનંદને નીરખતા અંતરમાં વ્યાપેલા આનંદને રાજકવિ લાડુદાને કાવ્યમાં તો કથિત કરી નાંખ્યો, તેમ છતાય એ આનંદ તો અવર્ણનીય જ રહ્યો ! ભાવાર્થઃ- નવેનવ રસસભર સહજાનંદની મૂર્તિને હું વારંવાર નમસ્કાર કરું છું. જે પ્રભુ અનુપમ છે. સારના સાર છે, જેને ભજતાં પંચવિષયના ફંદ છૂટે છે. વળી, ભવસાગરના પારને પમાય છે. એવા આ પ્રગટ શ્રીહરિનું સ્મરણ હું આઠો જામ કરું છું કારણ કે એનું રૂપ સુખધામ છે. અને નામ અનુપમ છે. વળી, જેને ભવબ્રહ્માદિક દેવો પણ અન્ય ઈચ્છાઓ તજીને ભજે છે. આ શ્રીહરિ અક્ષરબ્રહ્મના પણ આધાર છે. એટલે જ આના ગુણ, લક્ષણ ઐશ્વર્યશક્તિનો પાર પામી શકાતો નથી. શેષનારાયણ પોતાના સહસ્ત્ર મુખ વડે હંમેશા ગાય છે, છતાં પૂર્ણ રીતે વર્ણવી શક્તા નથી. નિગમ એટલે વેદ. વેદો પણ જેના મહિમાનો પાર પામી શક્તા નથી. એવા આ પ્રગટ શ્રીસહજાનંદસ્વામીની રસમય સુંદર મૂર્તિનું વર્ણન એમની જ કૃપાએ એમનાં જ ઉભય ચરણે નમીને હું કરવા પ્રેરાયો છું. અર્થાત્ વર્ણન કરું છું. મૂતિનું વર્ણન કરતાં પહેલાં પ્રેમસખી પ્રાર્થનાના રૂપમાં કહે છે કે હે, પ્રેમભીના પાતળિયા ! મારા નાથ ! તમો નખથી શિખાપર્યંત એટલે કે અત્યારે જેવા છો તેવા સાંગોપાંગ મારા અંતરમાં હંમેશા રમતા રહો. II૧થી૪ II રહસ્યઃ- કવિએ પ્રસ્તુત પદનાં આઠ પદો રચ્યા છે. એમાં પ્રગટ ભગવાનનાં અંગેઅંગોને આલેખતાં–આલેખતાં પોતાની અવસ્થાનું ચિત્ર પણ દોરતા ગયા છે. સાત-સાત પદો રચાયા હોવા છતાં, ન તો એમને તૃપ્તિ થઈ કે ન તો સભાજનોને તૃપ્તિ થઈ. સૌને થયું કે અમે પણ રોજ આ સહજાનંદસ્વામીનાં દર્શન કરીએ છીએ. પરંતુ પ્રેમાનંદસ્વામીએ પ્રભુને જે રીતે નિહાળ્યા તે રીતે અમે કદી નિહાળ્યા નથી. પ્રેમસખીએ પ્રભુને માત્ર જોયા જ નથી પણ હૃદયમાં સંઘરી લીધા છે. કારણ કે પ્રેમાનંદસ્વામી તાળવાના તીલનેય ભૂલ્યા નથી. પ્રેમાનંદ સહજાનંદના અમલમાં રાતા, માતા અને ગાતા હતા. સૌ સભાજનોએ કાન માંડ્યા હતાં. વળી, શ્રીજી મહારાજની હાજરી હતી તેથી એક-એક કરતાં સાત પદ ગાયાં અને પછી આઠમું પદ ઉપાડ્યું. વહાલા તારાં જુગલ ચરણ રસરૂપ, વખાણું વ્હાલમાં રે લોલ, વ્હાલા અતિ કોમળ અરુણ રસાય, ચોરે ચિત્ત વાલમાં રે લોલ. આખી સભાનાં નેત્રો ભગવાનનાં ચરણારવિંદ ઉપર સ્થિર થયા. દ્રષ્ટિની સાથે શ્રદ્ધા પણ સ્થિર થઈ. પ્રેમાનંદ સહજાનંદમાં અને સહજાનંદ પ્રેમાનંદમાં ખોવાઈ ગયા. પ્રેમાનંદે અંતિમ પદમાં નામાચરણની સાથે યાચના પણ કરી લીધી. ‘માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ.’ આ અંતિમ ચરણ પૂરું થતા સહજાનંદે પ્રેમાનંદને બિરદાવ્યા. એટલે અત્યાનંદની મંગલમય પ્રભાથી સૌ એકી સાથી બોલી ઊઠ્યા કે, “સહજાનંદસ્વામી મહારાજની જય”…. શ્રીહરિ સ્વામીને ભેટી પડ્યા. અને પોતાના બંને વરદહસ્તો પ્રેમસખીના માથા ઉપર મૂકી અભયદાન આપ્યું. અતિ પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતાં થકા કહ્યું કે ‘આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂતિનું ચિંતવન છે. માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ. અને જેને ઘેર આવા પુરુષે જન્મ ધર્યો એનાં મા-બાપ પણ કૃતાર્થ થયા જાણવાં.’ (વ.ગ.મ.-૪૮) આમ, વૈરાગીના ઝૂંડમાંથી મળી આવેલ મણિને મહારાજે પહેલ પાડીને પ્રોત્સાહનરૂપી અને આશીર્વાદરૂપી નવો ઓપ આપી પ્રેમસખીનું જીવન ધન્ય કરી દીધું. પદ, ઢાળ સૌરાષ્ટ્રની જાણીતી ગરબીનો આકર્ષક અને સુગેય છે. આ ઢાળમાં માતાજીનાં ગરબા ઘણા લોકો ગાય છે. શબ્દ લાલિત્ય અતિ સુંદર છે. લય મધ્યમ લય છે. તાલ હીંચ છે. નૃત્યનો રણકાર પણ ઝીલાયો છે. સુગેયતાની દ્રષ્ટિએ પદ સુંદર અને સરળ છે. ધ્યાનનાં અંગવાળા ભક્તો માટે તો અતિ ઉપયોગી છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
13
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Audio
18
11
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
22
2