આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ૧/૪

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
	બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ	...૧
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રીઘનશ્યામ;
	શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ	...૨
ગૂંથી ગલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
	લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર		...૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
	પૂછયા પ્રીત શું રે, બાઈ મેં સર્વે સમાચાર		...૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
	સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર	...૫
પહેરી પ્રીતશું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
	નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ		...૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ;
	સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય	...૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
	કોટિક રવિ શશી રે, તે તો ના’વે તેને તુલ્ય	...૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
	પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ	...૯

 

મૂળ પદ

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

આજ મારે ઓરડે રે..... ૦૦-૦૦ સજની સાંભળો રે ....... ૦૬-૪૫ બોલ્યા શ્રી હરિ રે........ ૧૨-૩૭ વળી સૌ સાંભળો રે..... ૧૭-૫૯

ઉત્પત્તિ

એક દિવસ વૈરાગ્યામૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળવા તેમની ઓરડીએ આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ પ્રણામ કરી નિષ્કુળાનંદ સ્વામીને આસન આપી વિનયથી પૂછ્‌યુ: ‘ સ્વામી ! આપની શી સેવા કરું?” નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ અરે ! હું તો તમારી પ્રેમભક્તિ માણવા આવ્યો છું. શ્રીજીમહારાજ સાથેનું કોઈક સંભારણું અને એવું જ કોઈક પદ સંભળાવો.” પ્રેમસખીએ સ્મૃતિને ઢંઢોળી, જૂના એક સ્મરણને તાજું કરતાં બોલ્યા: ‘ સ્વામી ! એકવાર શ્રીહરિ અહીં રાત્રે પધાર્યા હતા.” આ સાંભળતાં જ નિષ્કુળાનંદના મોંમાંથી ઉદ્‌ગાર નીકળી પડ્યા: “ શું કહો છો? શ્રીહરિ સ્વયં અહીં પધારેલા અને એ પણ રાતે! અહો! ધન્યભાગ્ય તમારા! પ્રેમાનંદ સ્વામીએ વાત આગળ વધારી: “સ્વામી ! ધન્ય ભાગ્ય તો આપણાં સૌનાં છે જ , નહિ તો આ સર્વોપરી મૂર્તિ ક્યાંથી મળે? પરંતુ અફસોસ એ હતો કે એ અધરાતે મહારાજ અહીં આવેલા, પણ હું કીર્તન ગાવામાં એવો તલ્લીન થઇ ગયેલો કે મને ખ્યાલ જ ન રહ્યો કે શ્રીહરિ આખી રાત બહાર ઊભા ઊભા સાંભળતા હતા. સવારે મને ખબર પડી ત્યારે મનમાં ઘણી ભોંઠપ થઈ, પણ શું કરું? અપરાધ થઈ ગયો. પ્રભુ મારે ઓરડે આવ્યા ને હું કાઈ સ્વાગત ન કરી શક્યો, પૂજા અર્ચના ન કરી શક્યો. એ વાતનો મનમાં વસવસો રહ્યા કરતો હતો. પરંતુ સ્વામી! મહારાજ તો અંતર્યામી છે ને ? મારા અંતરની અભિલાષાને તે પીછાની ગયા ને એક દિવસ ફરી જ્યાં ઓરડી બહાર જોઉં છું ત્યાં શ્રીહરિ સામે ચાલીને ઓરડીએ પધારતા હતા. તરત જ મારા મુખમાંથી હર્ષમાં ઉદ્‌ગાર નીકળી પડ્યા: ‘ આજ મારે ઓરડે રે , આવ્યા અવિનાશી અલબેલ ......’ આવા બે પદ લખી નાખ્યાં પછી ઠાકોરજીનો પ્રસાદ લેવા બેઠો. પાછા આવીને જોયું તો બીજાં બે પદ મહારાજે લખી નાંખેલા , તે પદ આ છે સાંભળો – ‘બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન : મારે એક વારતા રે સૌને સંભળાવ્યાનું છે મન ....’ મારા રચાયેલા પદના જ ઢાળમાં શ્રીજીમહારાજે પણ બે પદ રચ્યાં. આ વાત મેં કોઈને કહી નથી.’ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ ઓહોહો સ્વામી! ધન્ય છે તમને ને ધન્ય છે તમારી પ્રેમભક્તિ ! આ પદમાં તો શ્રીહરિએ પોતાના સ્વરૂપની, ધામની, શક્તિની વાત સમજાવી છે અને વધુમાં વધુ અવતારના કારણ અવતારી પોતે જ છે એમ પણ સમજાવી દીધું છે!” પ્રેમસખી તો આ સાંભળતાં જ પ્રભુના સ્વરૂપમાં લીન થઇ ગયા. શ્રીજીના લીલા ચરિત્રો સંભારતાં ને સાંભળતા એમનાં રૂંવાડે રૂંવાડે રોમાંચ વ્યાપી જતો ને પ્રેમભાવમાં શ્રીજીસ્વરૂપમાં એવા તો લીન થઈ જતા કે દેહ, સ્થાન, સમય કે દેશકાળનું પણ ભાન તેમને રહેતું નહિ. ઉત્પત્તિઃ- પ્રેમસખી પ્રેમાનંદસ્વામી એટલે મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ. જેમનું હૈયું હંમેશા હરિવર સાથે હેરતું, જેમની આંખોમાંથી અહર્નિશ વિરહ વિલાપનાં આંસુઓ સર્યા છે. જેઓના મુખમાંથી નિશદિન વિયોગાત્મક વાણી જ વરસી છે. જેમનું સારુંયે જીવન જગદીશની ઝંખનામાં જ ઝૂરતું હતું, એવા પ્રેમપંથના પ્રવાસી પ્રેમદીવાના પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના જીવન-કવનની કહાની ઘણી કરુણ અને ગર્ભિત છે. જેમ કાદવમાં જન્મેલું કમળ દેવશિરે ચડીને કૃતાર્થ બની જાય છે. તેમ ગાંધર્વ જ્ઞાતિમાં જન્મેલા પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રભુના મિલનથી ધન્ય બની ગયા. આ સંત કવિના જન્મ સ્થળ, જન્મ સાલ કે માતા-પિતાનાં નામ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી જોવા મળતી નથી. પરંતુ ઘણાં શાસ્ત્રોનું અવલોકન કરતાં એમના સમગ્ર જીવનને ત્રણ વિભાગમાં વહેંચી શકીએ. ૧. સ્થૂળ જીવનઃ- સં.૧૮૪૦ થી ૧૮૭૧ સુધી -૩૧વર્ષ ૨. આધ્યાત્મિક જીવનઃ- સં. ૧૮૭૧ થી સં. ૧૮૮૬ સુધી- ૧૫ વર્ષ. ૩. વિરહી જીવનઃ- સં. ૧૮૮૬ થી સં. ૧૯૧૧ સુધી- ૨૫ વર્ષ. કહેવાય છે કે જન્મતાંની સાથે જ ત્યજાયેલું આ પ્રેમ-પુષ્પ અમદાવાદ દરિયાખાનના ઘુમ્મટમાંથી કોઈ મુસ્લિમને મળ્યું. કોઈ કહે છે કે આ પુષ્પ વૈરાગીઓના ઝૂંડમાં ઊછરતું રહ્યું, હકીકત ગમે તે હોય પરંતુ ‘जन्मना जायते क्षुद्रः संस्कारात् द्विजः उच्यते I’ એ ન્યાયે એ કમળ જનમ્યું હતું કરુણાનિધાનના શરણે સમર્પિત થવા. અને બન્યું પણ એમ જ. સમય જતાં સ્વામી જ્ઞાનદાસજી દ્વારા સહજાનંદસ્વામીનું મિલન થયું. એટલું જ નહીં પરંતુ તેમની પૂર્ણકૃપાના પાત્ર બની પ્રેમાનંદ સ્વરૂપ પ્રદર્શિત થયું. પોતાના પ્રિતમના અંગે અંગ ઉપર પ્રેમ કરનાર પ્રેમાનંદસ્વામી શ્રીહરિનાં દર્શન વિના એક ઘડી પણ રહી શક્તા નહીં એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામીનાં જીવનની આ એક પ્રેમભીની અલૌલિક ઘટના છે. શ્રાવણ માસની અમાસની રાત્રીએ ઘોર અંધારું છવાઈ રહ્યું હતું. ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં કોઈ કોઈ વાર વીજળી ઝબકી જતી હતી. ઘેલાના ઘૂઘવટાની સાથે તાલ મિલાવી સારંગીના તાર ઉપર આંગળીઓ ફરી રહી છે. પ્રેમદીવાના પ્રેમાનંદનાં અંતરનાં ઊંડાણમાંથી ‘ક્યારે હવે દેખું હરિ હસતા મારા મંદિરિયામાં વસતા.’ તેમ જ ‘મને વ્હાલા વિરહ સતાવે રે નથી રહેવાતું હવે નથી રહેવાતું.’ એવી પછાડ ઉપર પછાડ નીકળી રહી છે. જ્યારે ભક્તથી ન રહેવાય ત્યારે ભગવાન પણ અધીરા બને છે. મહારાજને શું મોહ લાગ્યો ? કીર્તનનો, ભાવનો કે પ્રેમાનંદ જેવા ભક્તનો ? અડધી રાતે નહીં દીવો, નહીં દીશા કે નહીં કોઈનો સંગ ! છતાં ક્યાં નીકળ્યા ? સૂરની શાને આગળ વધ્યા, પણેથી ઘૂમરડી ખાઈ આજીજી આવતી હતી કે, ‘પ્રેમાનંદના નાથને કોઈ મારી વિનંતી જઈ સંભળાવે રે , નથી રહેવાતું હવે નહી રહેવાતું’ આભનો સાગર જળ-જળ ભરેલો હતો. અંધારી રાત સમ-સમ કરતી ગગનની કોઈ ખીણમાં સરી પડતી હતી. તો આ બાજુ સારંગીના સથવારે સ્વામીનાં અંતરનો ગહેકેલો શોર સહજાનંદને ખેંચી રહ્યો હતો. પ્રેમસખીએ ગીત ઉપર ગીત ગાતાં-ગાતાં પથ્થર ફાટી જાય એવા કરુણભીના કંઠે કરુણ ગીત ઉપાડ્યું કે ‘ રહેતી નથી હૈયે ધીર વાલમ વિના’ ભક્ત ગાતા રહ્યા અને પ્રેમભીના પાતળિયા પલળતા રહ્યા. સમી સાંજના સાંભળી રહેલા સહજાનંદજી મુગ્ધ થતા હતા. અહો …! કેવું હેત અને કેવી પ્રીત ! અંતે વિરહની વાદલડી વરસતાં-વરસતાં આનંદમાં પરિણમી. અંતરનાં સાગરમાં કોણ જાણે કેવા આનંદની ભરતી આવી ! એકાએક કવિનું હૃદય પલટાઈ ગયું ! જાણે પ્રગટ પ્રભુ પોતાની ઝૂંપડીએ પધાર્યા છે. એવા ભાવનું વિશેષ કીર્તન ઉપાડ્યું, “ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ‘ કહેવાય છે કે પ્રેમભક્તિના એ પૂરમાં પ્રેમાનંદ સ્માધિસ્થ થઈ ગયા. એટલે તેમની પાસે પડેલા કલમ અને કાગળ હાથમાં લઈ અધૂરા રહેલા કીર્તનમાં પાછળનાં બે પદ શ્રીહરિએ પોતે જ લખ્યાં છે. રાતભર પ્રેમાનંદની પ્રેમગલીમાં વિહરતા વાલમજીએ અંતે પ્રેમસખીને ઢંઢોળ્યા. ‘ અરે પ્રભુ ! આપ ક્યારના અહીં આવ્યા છો?” “મધરાતની આગમનના ઊભા છીએ. તમને ક્યાં શુદ્ધ–બુદ્ધ હતી? તમે તો મારી મૂર્તિમાં મસ્ત હતા ને! વાહ ! પ્રેમાનંદ વાહ ! આજ તો હું તમારી પ્રેમ સેજમાં પોઢીને તૃપ્ત થયો છું. એટલે જ કદી અને ક્યારેય નહીં રચેલ છતાં તમારા અધૂરા કીર્તનને આજે મેં પૂર્ણ સ્વરૂપ આપ્યુ છે. આજ દિન સુધી કરેલ તમારા કાવ્ય મંદિર ઉપર આજે અમારા હાથે કળશ ચઢી ગયો છે.” પ્રેમાનંદી ભક્તો ! આવો, સૌ સાથે મળીને ગાઈએ એ પ્રેમસખીના પ્રેમસ્પંદનો અને પ્રેમભીના પાતળિયાનાં પ્રસાદી પદોને.

વિવેચન

આસ્વાદ : આ પદની પ્રસ્તુત ચોસરમાં પ્રેમાનંદ સ્વામી તેમના અન્ય પદની જેમ પદલાલિત્ય તેમજ પ્રેમભક્તિનું માધુર્ય યથાવત્ સાચવે છે. શ્રીહરિને પોતાના આસને *( સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુની રહેવાની જગ્યાને ‘ આસન ‘ કહે છે.) પધારતા જોઇને પ્રેમસખીના પ્રેમોત્કટ હૈયામાં ભાવાવેગની ભરતી ઊમટે છે તેને પોતે ખાળી નહિ શકવાથી એમની પ્રેમોન્મત્ત થયેલી વાણી વૈખરીમાં વ્યક્ત થઈ જાય છે, ત્યારે એ અનાયાસે ગાઈ ઊઠે છે – ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ ‘ અહીં શ્રી સહજાનંદ સ્વામીના દર્શનમાત્રથી જાગૃત થતાં વિવિધ ભાવ સંવેદનો ખૂબ સુંદર રીતે વ્યક્ત થયાં છે. પ્રાણ પિયુ શ્રી સહજાનંદ સ્વામીની અલૌકિક રૂપમાધુરી પર પ્રેમાનંદના પ્રાણ વારિ ગયા છે, તેથી જ ‘હરિવર સુંદર શ્રી ઘનશ્યામ ‘ને એ માત્ર જોતા નથી, આંખો દ્વારા પીએ છે. ‘ નીરખ્યાં નેણાં ભરી રે’ અને પીએ છે પણ કેટલા ? આંખો ભરી ભરી ને ! શ્રીહરિ તો શોભાનો સાગર છે, એમનાં અલૌકિક રૂપસૌંદર્ય પાસે તો કરોડો કામદેવ પણ વામણાં‌ લાગે ! કવિનું હૃદય સહેજે જ શ્રી સહજાનંદ સ્વામીના રૂપલાવણ્યમાં આકર્ષાય છે અને એ વિવિધ રાગાત્મક ભાવસંવેદનો વ્યક્ત કરે છે. એ સર્વે આધ્યાત્મિક હોવા છતાં , લૌકિક દ્રષ્ટિએ માનવસહજ અને સ્વાભાવિક લાગે છે. ‘ગુંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર ; લઈને વારણાં‌ રે , ચરણે લાગી વારંવાર .’ જાતે ગૂંથેલો ગુલાબનો હાર શ્રીહરિને પહેરાવી એમનાં વારણાં‌ લઈ પ્રેમસખી શ્રીચરણમાં વારંવાર પ્રણામ કરે છે. કવિની દાસ્યભક્તિનો ઉત્તમ ઉન્મેષ અહીં અભિવ્યક્ત થાય છે. શ્રીહરિની પ્રેમભરી આગતા સ્વાગતા કરી પ્રેમાનંદ સ્વામી પ્રભુને કુશળ સમાચાર પૂછે છે ; ‘કહોને હારી કયાં હતા રે , ક્યાં થાકી આવ્યા ધર્મકુમાર ‘ મહારાજ તો પ્રેમીભાક્તોનો ભાવભક્તિભર્યો હૃદયઉન્માદ જોઈ પ્રેમપૂર્વક તેમને આલિંગન આપી આસન ગ્રહણ કરે છે.મહારાજની સામે એમનાં ચરણમાં બેસીને કવિ શ્રીજીની મૂર્તિને એમના રસશૃંગારને અંતરની આંખેથી નિહાળીને એનું માહાત્મ્યપૂર્ણ સૂક્ષ્મ વર્ણન કરે છે. પ્રેમસખીની ભક્તિમાં માહાત્મ્ય અને જ્ઞાનનો અદ્‌ભૂત સમન્વય સાધ્યો છે. શ્રીહરિના રૂપસૌંદર્યને નિહાળીને એ એમાં ફક્ત મગ્ન થઈને વિરમી નથી જતા, એ અલૌકિક દર્શનનો મહિમા તે યાતાર્થ સમજે છે અને ધન્યતાપૂર્વક એને ગાય પણ છે: ‘ સજની તે સામે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેના ભાગ્ય .............’ કવિમાં માહાત્મ્યસહિત પૂર્ણપણે વિકાસ પામી છે, પણ તે એકલી ગુણયુક્ત નથી. એમાં શક્તિ, પરમ ઐશ્વર્ય, સ્વરૂપનિષ્ઠા વગેરે ભળે છે. પ્રગટ પરમાત્મા સ્વામિનારાયણના અલૌકિક ઈશ્વરયુક્ત અપાર મહીમાંગાન કવિની શાનાસક્તિની ઝલક ઝાંખી પડતી નથી.*( પ્રેમસખી પ્રેમાનંદ – ડૉ . હરિપ્રસાદ ઠક્કર) પદનું સમાપન પણ કવિ કૃતજ્ઞતાના ભાવ સાથે જ કરે છે: ‘પ્રેમાનંદ તો રે , એ છબી નીરખી થયો નિહાલ .....’ બીજા પદનો પ્રારંભ કવિ ‘સજની સાંભળો રે , શોભા વર્ણવું તેની તેહ ....’ એમ કહીને શ્રીહરિની દિવ્ય મૂર્તિની શૃંગાર શોભાના વધુ રસમય વર્ણનથી કરે છે. શ્રીજી મહારાજની મૂર્તિનું અનુસંધાન થતા પ્રેમસખીના અંતરમાં સ્નેહભાવની ભરતી આવે છે. આ પ્રકારનાં પ્રણયસંવેદનોની તીવ્ર અનુભૂતિ કવિની ભક્તિ સાધનાના મૂળમાં રહેલી છે. તેથી જ એમનાં કાવ્યોમાં ભક્તિભાવભીનાં પ્રણયસ્પંદનોની વ્યંજના ઝિલાઈ છે. ‘જેવા મેં નીરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર ....’ પ્રેમસખીએ અંતરની આંખે શ્રીજીને જેવા નીરખ્યા હતા તેવા જ પ્રામાણિકપણે વર્ણવ્યા છે. શ્રીજીમહારાજે કંઠમાં બરાસ કપૂરના સુગંધીદાર હાર પહેર્યા છે, પાઘમાં તોરા ખોસ્યા છે, બંને હાથે કપૂર સુશોભિત બેરખા ને કડાં‌ પહેર્યા છે , શ્રીહરિનાં સર્વે અંગમાંથી અત્તરની મદમસ્ત ફોરમ ફૂટી રહી છે. એમનાં આ અદ્‌ભૂત શણગાર ને શોભા જોઇને સર્વેના ચિત્ત એમનાં અલૌકિક સ્વરૂપમાં ચોંટી જાય છે. ‘હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ; રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ ...’ મહારાજ તો કરૂણાનિધાન છે, એમની પ્રત્યેક ચેષ્ટા જેવી કે એમનું હસવું, બોલવું, એમનાં લટકા – બધું જ પ્રેમી ભક્તોના સુખ આનંદ માટે જ હોય છે! કવિ કહે છે કે એ રસરૂપ મૂર્તિને મારે કેટકેટલી ઉપમાઓ દેવી? હું તો ઠીક, શેષજી પણ એનો પાર પામી શકે તેમ નથી. રસરાજ શૃંગાર જાણે સ્વયં મૂર્તિમાન આવ્યો હોય એમ કવિને મહારાજની મૂર્તિ નીરખીને લાગે છે. ‘ધરીને મૂરતિ રે, જાણે આવ્યો રસશૃંગાર ... ‘ આ પદમાં કવીનીં પ્રણયોર્મિનાં સ્પંદનો તથા શ્રીહરિના રસશૃંગારનાં વિવિધ ભાવચિત્રો ખૂબ માર્મિક અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે આલેખાયાં છે. કવિની અદ્‌ભૂત ભાવાલેખન શક્તિનો અહીં પરચો મળે છે. અહીં પ્રેમસખી શ્રીહરિના રૂપ-શણગારના રસિક રૂપનિરૂપણમાં એવા ખોવાઈ જાય છે કે આગળ એમની વાચા મૌનના મહાસાગરમાં વિલીન થઇ જાય છે . પ્રભુમાં ભળી ગયા પછી ભક્ત રહે છે જ ક્યા? પછી તો ભક્ત દ્વારા ભગવાન જ બોલે છે, ભગવાન જ લખે છે, એની સર્વ ક્રિયાઓનો દોરીસંચાર પછી તો પ્રભુ જ કરે છે. પ્રેમાનંદ તો મહારાજની મૂર્તિમાં રસબસ થઇ ગયા, પછી એમનાં દ્વારા જે બોલે છે, લખે છે તે બીજું કોઈ નહિ પણ સ્વયં મહારાજ જ છે! એટલે જ ત્રીજા પદની શરૂઆત આ પ્રમાણે થઈ છે— ‘બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન ...’ હવે શ્રીહરિ સ્વયં એક મૂળભૂત વાત સર્વે સંતહરિભક્તોને સમજાવે છે: મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત; સર્વ દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત ..’ ‘હે ભક્તો! મારી મૂર્તિ અને મારી મૂર્તિના સંબંધે કરીને મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે. સર્વ સામર્થી , શક્તિ અને ગુણેયુક્ત મારું ધામ છે, જુનું નામ અક્ષરધામ છે! અસંખ્ય સૂર્યચંદ્ર જેના તેજ પાસે ઝંખવાય એવું એ તેજોમય છે. એ શીતળ સૌમ્ય તેજ અનુપમ છે. એવા દિવ્ય તેજોમય અક્ષરધામમાં હું સદાય સાકાર દ્વિભુજ સ્વરૂપે રહું છું. મારા દર્શન દેવોને પણ દુર્લભ છે. મારો મહિમા અપાર છે. જીવ, ઈશ્વર, માયા, કાળ , પ્રધાન પુરુષ સહુ મારે વશ વર્તે છે અને એ સહુનો પ્રેરક ભગવાન હું જ છું! અગણિત બ્રહ્માંડોની ઉત્પત્તિ , સ્થિતિ ને પ્રલય મારી પ્રેરણાને કારણે જ થાય છે.*( “અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે સમી દ્રષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે, પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે .... પછી તે પ્રકૃતિ પુરુષથકી પ્રધાનપુરુષ થયા ને તે પ્રધાનપુરુષ થકી મહતત્વ થયું, ને મહતત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો .” આ રીતે સર્વના કારણ ભગવાન સ્વામિનારાયણ છે. વચનામૃત – (ગઢડા પ્ર. પ્ર. ૪૧ )) મારી મરજી સિવાય અનંત બ્રહ્માંડોમાં કોઇથી કાંઈ ન થઈ શકે. આ સત્ય રહસ્ય મેં તમારી પાસે મૂક્યું છે એ સમજજો અને એટલું તો નિશ્ચે સ્વીકારજો કે હું તમારા બધાં માટે જ આ લોકમાં માનુષ દેહ ધરીને આવ્યો છું! ભક્તને સુખદુખ આવે છે તે પરમાત્માની ઈચ્છાએ આવે છે, કારણ કે કાળ, કર્મ ને માયા તો શ્રીહરિને વશ વર્તે છે . ભગવાનને જ સર્વ કર્તાહર્તા જાણનાર દ્રઢ નિશ્ચયી ભક્તને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ ચાલતો નથી. શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણચંદ્રે અર્જુનને કહ્યું છે કે ‘બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરી મારે એકને શરણે આવ, હું તને સર્વ પાપ થકી મુકાવીશ.’ આવું જ અભય વરદાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ચોથા પદમાં આપતા કહે છે : ‘વળી સૌ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ ; પરમ સિદ્ધાંત છે રે, સહુને હિત્કરીઓ સુખરૂપ ....’ આત્યંતિક મોક્ષનું હાર્દ સમજાવતો આ હિતકારી સુખરૂપ સિદ્ધાંત સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિરૂપ છે, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું હાર્દ આ સિદ્ધાંતમાં સમાયેલુ છે. શ્રીહરિ આટલી પ્રસ્તાવના કરી આગળ કહે છે: ‘સહુ હરિભક્તને રે , જાવું હોયે મારે ધામ: તો મને સેવાજો રે, તમે શુદ્ધભાવે થઈ નિષ્કામ .’ શુદ્ધભાવે અર્થાત્‌ બ્રહ્મરૂપની ભાવના કરીને પ્રભુ પ્રસન્નતા સિવાય અન્ય કામના રહિત નિષ્કામ ભક્તિ જ મોક્ષદાયી છે. ભક્તિ પણ વૈરાગ્યથી પરિપુષ્ટ થાય છે, તેથી શ્રીહરિ આગળ કહે છે: ‘સહુ હરિભક્તને રે , રહેવું હોયે મારી પાસ: તો તમે મેલજો રે, મિથ્યા પાંચવિષયની આશ .’ શબ્દ ,સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ માયિક પંચવિષયમાં અનાસક્તિયોગ કેળવવો અને સનેહી-સ્વજનોમાંથી આસક્તિ તોડી પરમાત્મામાં જ પ્રીતિ જોડી દેવી તે જ સાચો વૈરાગ્ય છે. સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે : ‘જે પુરુષની ઇન્દ્રિયો શબ્દાદિક વિષયમાં આસક્ત હોય એ પુરુષ ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહિ.*( શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો ( ટીપ્પણી સહિત) – શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન પ્રકાશિત, પૃષ્ઠ -૧૬૧ વાત ૩૨૮ .) ભગવાન સ્વામિનારાયણ સિવાય જગતના સર્વ આકારો માયિક ને મિથ્યા છે , એવી સમજણ કેળવી એ સર્વમાંથી આસક્તિ તોડી સમજણેયુક્ત વૈરાગ્ય કેળવી, શ્રીજીમહારાજે બાંધેલી જે ધર્મમર્યાદા , એકાદશ નિયમાદિ પાળવાં‌ અને એકમાત્ર સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનિ જ ભક્તિ કરવી એ જ સાચી ભક્તિ છે. તેથી જ શ્રીહરિ અંતે આશીર્વચન દેતા કહે છે કે: ‘ સૌ તમે પાળજો રે , સર્વે દ્રઢ કરી મારા નેમ , તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.’ ‘સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ’ --- આ ઉપદેશ દેવાની શ્રીહરિની રીત નિરાળી છે. તેથી જ પ્રેમસખી શ્રીહરિની અમૃતવાણીને શશીયરની અમીવર્ષા સાથે સરખાવે છે. અંતમાં પદનો મહિમા સ્થાપતાં‌ કહે છે : ‘આ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર; પ્રેમાંનંદનો રે, સ્વામી લેશે તેની સાર.’ સંપ્રદાયના નિત્ય નિયમમાં આ ચોસરના ચારે પદોનો સમાવેશ વિશેષ પ્રકારે કરાયો છે અને સર્વે સત્સંગીઓના ઘરમાં પણ આ પદો ખૂબ ભાવપૂર્વક ગવાય છે . ભાવાર્થઃ- કરુણા કરી આજ મારે ઓરડે અવિનાશી સામે ચાલીને આવ્યા. હે સખી ! મેં સુંદર છોગાળા છેલને પ્રેમથી બોલાવ્યા. મટકા રહિત મારા નેણ ભરી એ નટરાજ નારાયણને નિહાળ્યા. એની શોભાની શી વાત કરું ? કોટિ કામદેવો પણ સુંદરવરની સુંદરતાથી લજ્જાને પામ્યા. II૧-૨II વીણી-વીણીને ગુલાબના ગૂંથેલા સુગંધિત હાર મેં હરિના કંઠમાં પહેરાવ્યા. વળી, વહાલાનાં વારણાં લઈ વારંવાર પગે લાગી. ભાવથી આદર સહિત ચાકળા ઉપર બેસાડ્યા. હે સાહેલી ! મેં તો પ્રીતથી સહજાનંદના સર્વ સમાચાર પૂછ્યા કે આ સોળે શણગાર સજી સુંદર શોભતા હે મહારાજ! તમે ક્યાં હતા ? અને ક્યાં થઈને આવ્યા ! II૩થી૫II પ્રેમાનંદની પ્રીત અનોખી હતી. પ્રેમાનંદ પોતાના પ્રિતમના એક-એક અંગ ઉપર તથા પહેરેલા શણગાર ઉપર અતિ પ્રેમ કરતા. શ્રીહરિએ પહેરેલ સુખદેણ નવરંગી સૂથણલી તથા હીરની નાડી તથા અવિનાશીએ ઓઢેલો ગૂઢો રેંટો હે સજની ! જોયા જેવો છે. આ મૂર્તિને આ સમે જે નીરખશે તેના ભાગ્ય ઉઘડી જાશે. II૬-૭II મોહનવરે મસ્તક ઉપર મોળીડું અમૂલ્ય અને અનુપમ રીતે બાંધ્યું છે. એ મોળીડામાંથી એવા પ્રકાશના પૂંજ પથરાય છે કે કરોડો રવિ શશીના પ્રકાશ એની આગળ ન્યુન ભાસે છે. વળી, એ પ્રગટ પ્રભુએ રેશમી કોરનો સુંદર રૂમાલ હાથમાં ગ્રહ્યો છે. આવી અનુપમ અવિનાશીની મૂર્તિને નિહાળી પ્રેમાનંદ ન્યાલ થઈ ગયા છે. છતાં હજુ એ મૂર્તિના સુખથી ન ધરાણા હોય તેમ સ્વામી બીજા પદમાં પણ એ માવની મૂર્તિની મોહની લગાડે છે. II૮-૯II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Audio
3
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા + નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
2
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
15
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
1
0