સત્સંગથી શાસ્ત્ર રૂડાં સુણાય, સત્સંગથી શ્રીહરિ ઓળખાય; ૧/૧

પદ- ૬૫ ……………………..૧/૧

સત્સંગના મહાત્મ વિષે.

(ઉપજાતિ છંદ)

સત્સંગથી શાસ્ત્ર રૂડાં સુણાય,

સત્સંગથી શ્રીહરિ ઓળખાય;

સત્સંગથી ધર્મ પળાય ભાઇ,

ન્હૈ એહને તુલ્ય અમૂલ્ય કાંઇ. (૧)

સત્સંગથી મોક્ષ મહા મળે છે,

બહુ બહુ બંધન તો ટળે છે;

સત્સંગ તો સુરતરુ સમાન,

ઇચ્છિત આપે ફળને નિદાન. (૨)

ગંગા વિષે સ્નાન કરે જઇને,

ગંગા કરે પાવન તોજ તેને;

સત્સંગનો તો ગુણ જેહ લે છે,

તેને મહામોક્ષ અમૂલ્ય દે છે. (૩)

ત્રિવિધિના તો ટળી જાય તાપ,

ત્રિવિધિનાં તો બળી જાય પાપ;

ત્રિવિધ માયા ગુણનો ઉથાપ,

સત્સંગનો છે મહિમા અમાપ. (૪)

સુધાતણું પાન સુખી કરે છે,

ચિંતામણી ઇચ્છિત તો પૂરે છે;

મણી અડે લોહ સુવર્ણ થાય,

સત્સંગમાં તે ગુણ સૌ સમાય. (૫)

પ્રહ્‌લાદને ધ્રુવ વિભીષણાદિ,

પામ્યા દિસે જેહ મહત્વ ગાદી;

શશી તથા સૂરજ સુખીયા છે,

સત્સંગથી તેહ સહુ થયા છે. (૬)

જરૂર જ્યાં લાભ જરી જણાય,

વેપારી તો તુરંત ત્યાંજ જાય;

વણિક તુલ્યે સુવિવેકી જે છે,

સત્સંગનો લાભ અપૂર્વ લે છે. (૭)

ફણીંદ્રને તો મણી પ્રિય લાગે,

તજાવતાં તો કદિયે ન ત્યાગે;

તેવી રીતે સજ્જન પ્રાણી જેહ,

સત્સંગનો ત્યાગ કરે ન તેહ. (૮)

જો નાવનો આશ્રય તો કરે છે,

તો તુચ્છ ચિજો નિધિમાં તરે છે;

જો અલ્પ પ્રાણી સતસંગ ધારે,

સંસાર સિંધુ થકી તે ઉતારે. (૯)

_______________________________

પરબોધે= જ્ઞાન આપે, સુરતરુ = કલ્પવૃક્ષ.

ત્રિવિધિતાપ= અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ.

(ત્રિવિધનાં તો વળી જાય પાપ.) એટલે કાયિક

વાચિક ને માનસિક પાપ, ત્રિવિધ માયા ગુનનો

ઉથાપ. કહેતાં. રજોગુણ, સત્વગુણ ને તમોગુણ

એ ત્રણ પ્રકારની માયા.

પ્રહ્લાદજીને નારદમુનિ મળ્યા તથા ધ્રુવજીને પણ તેજ

ઋષીજીએ ઉપદેશ દીધો હતો.

ફ્ણીંદ્ર = ફણાવાળામાં શ્રેષ્ઠ, મણીધર સર્પ.

મૂળ પદ

સત્સંગથી શાસ્ત્ર રૂડાં સુણાય, સત્સંગથી શ્રીહરિ ઓળખાય;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી