અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે ૧/૪

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે...અંત૦ ૧

રોમ કોટિ વીંછીની તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રુંધાય છે...અંત૦ ૨

શૂધ ન રહે જ્યારે પોતાના શરીરની, તનડાની નાડી તૂટી જાય છે...અંત૦ ૩

ઘરનાં માણસ જ્યારે ઘેરી બેસે પાસળે, પૂમડું લઈને જળ પાય છે...અંત૦ ૪

દેવાનંદ કહે દેહ તજ્યા ટાણે, હૈડું હાલક-ડોલક થાય છે...અંત૦ ૫
 

મૂળ પદ

અંતકાળે આવી રે મારી

મળતા રાગ

પરજ

રચયિતા

દેવાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- સંવત ૧૮૮૬ જેઠ વદિ ૧૦ ના રોજ અનંત બ્રહ્મનિષ્ઠ ભક્તોના પ્રાણઆધાર એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામીનારાયણે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. જીવનું જીવન જતાં અનેક ભક્તોના જીવનમાં કારમો ઘા લાગ્યો. પ્રાણ વિના પૂંજા ડોડિયા અને મહારાજને અખંડ ધારનારી માણકી ઘોડીએ મહારાજનાં તેરમાના દિવસે જ પ્રાણ છોડ્યા. સદ્ગુરુ મુક્તાનંદસ્વામી સારાયે સત્સંગની ‘મા’ કહેવાતા. પરંતુ બાપનું ઓઢણું બેટા ઉપરથી દૂર થતાં ‘મા’ નું જ��વન ઝેર થઈ ગયું. મહારાજ સ્વધામ સિધાવ્યા પછી સ્વામી જીવનથી ઉદાસ થઈ ગયા. એક પળ પણ એમને કલ્પસમ લાગવા માંડી. તીક્ષ્ણ ધારદાર ભાલા શરીરમાં ભોંકાય અને જે વેદના થાય, એવી અધિક વેદના ખાનપાનાદિક ભોગથી સ્વામીને થવા લાગી. ચિત્ત ક્યાંય ચોંટતું નથી. ગોપાળાનંદસ્વામી અને રઘુવીરજી મહારાજના આગ્રહથી સ્વામી અનીચ્છાએ લઘુઆહાર કરે છે. પણ મન મહારાજને મળવા મથી રહ્યું છે. વાતની વાતમાં સ્વામી ગાઈ ઊઠે છે. કે ‘ક્યારે હવે દેખું, હરિ હસતા મારા મંદિરમાં વસતા.’ શ્રીજી મહારાજ ધામમાં સિધાવ્યાને આજે દોઠ માસ થવા આવ્યો છે. ૧૮૮૬ ની અષાડ વદિ-૧૧ ની સવારનો સમય છે. સૌના અંતરમાં આજે અવનવા વિચારો અને અપશુકનો થઈ રહ્યાં છે. સૂરજનારાયણ પણ ભારેખમ થયા છે. ધૂંધળી અવસ્થામાં દશેય દિશાઓ નિસ્તેજ જણાય છે. વહેલી સવારની ગાયો ભાંભરી રહી છે. કૂતરાઓ દાદાની ડેલી આગળ આવી ઊંચુ મોં રાખી રડી રહ્યાં છે. પગ નીચેથી પૃથ્વી સરી જતી હોય તેવો અનુભવ સૌને થાય છે. એવા સમયે ગોપીનાથજી મહારાજની શણગાર આરતી બાદ દર્દીલા દિલમાંથી નીકળતો કરુણભીનો અવાજ સૌને સંભળાયો. ‘મેરે તો તુમ એક હી એક આધારા.’ આજે તોતેર વર્ષની વયના માંદગીભર્યા શરીરવાળા મુક્તાનંદસ્વામી જેમ પાણી વિના માછલી તરફડે તેમ પ્રભુ વિના વલવલી રહ્યા છે. બધા સંતો-ભક્તો મંદિરમાં એકત્રિત થઈ ગયા છે. સૌના હૈયા કકળી ઊઠ્યાં છે કે બાપ તો ગયા અને આ ‘મા’ પણ ચાલી. સૌ સ્વામીને વિનવી રહ્યા છે, કે ‘સ્વામી! આપ તો ધીરજના ડુંગર છો. સારાયે સત્સંગની આપ ‘મા’ છો. ‘મા’ જો ધીરજ છોડી દે તો દીકરાની શી દશા થાય? સ્વામી ! આપના સાન્નિધ્યથી સમગ્ર સત્સંગને શાતા વળે છે. માટે આપ ધામમાં જવાની ઉતાવળ ન કરો સ્વામી !” પરંતુ ઉદાસ બનેલા મુક્તાનંદ સ્વામી તો શ્રીજી મહારાજે વ.ગ.મ.-૫૮ માં કરેલ આજ્ઞા પ્રમાણે કલમ હાથમાં લઈને અંતિમ કીર્તન લખતા જાય છે. અને ગાતા જાય છે. ‘અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા.” એક પદ લખાણું, બીજું લખાણૂં, ત્રીજું અને ચોથું પદ લખવા જાય છે. ત્યાં તો ધ્રૂજતા હાથમાંથી કલમ નીચે સરી પડી. એટલે નિત્યાનંદસ્વામીએ કલમ પોતાના હાથમાં લઈ અંતસમયે સ્ફૂરતા શબ્દોને નોંધી લીધા. અને મુક્તાનંદસ્વામીની પાસે બેસીને કહ્યું, કે “સ્વામી ! તમારો અધૂરો રહેલો ધર્માખ્યાનનો ગ્રંથ હું પૂરો કરીશ અને રઘુવીરજી મહારાજને વડોદરામાં પધરાવીશ.” એમ કહી સ્વામીના શરીરે હાથ ફેરવવા લાગ્યા. જીવનભર શ્રીહરિની આજ્ઞા અણીશુદ્ધ પાળતાં પાળતાં પ્રભુભક્તિનાં પદો ગાતાં-ગાતાં અને ઈષ્ટદેવનાં લીલાચરિત્રો છેલ્લી ઘડી સુધી લખતાં થકા મુક્તાનંદસ્વામી શ્રીહરિના ધામમાં સિધાવ્યા. ભક્તો, પ્રસ્તુત પદ છે મુક્તાનંદસ્વામીના અંતિમ આર્તનાદની છેલ્લી પ્રસાદી.

વિવેચન

ભાવાર્થઃ- ભક્ત ભગવાનને વિનવે છે કે અંતકાળે આવી સંભાળી લેજો શામળા. હે પ્રભુ! અમારા અવગુણ સામે જોશો નહીં. “મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું, બિરૂદ મારું એ ન બદલે, તે સર્વેજનને જણાવવું.” એ બિરૂદ પ્રમાણે સ્વામી પ્રભુજીને ભલાંમણ કરે છે, કે “હે અધમના ઉદ્ધારક! કરુણાનાં સિંધુ ! તમે તમારું બિરુદ પાળજો. ફક્ત અર્ધનામ ઉચ્ચાર કરનાર ગજને ગ્રાહના મુખથી છોડાવ્યો. બસ એવી રીતે હે સુંદરવર શામળા ! તમે જલ્દી આવો, હું તમારી અનિમેષનયને વાટ જોઉ છું. સ્નેહભાવે “નારાયણ” એવા પુત્રનો પોકાર કરનાર અજામિલનો ઉદ્ધાર પણ આપે કર્યો છે. અર્થાત અંતકાળે એવા અલ્પજ્ઞ જીવોની પણ સંભાળ તમે લીધી છે. તો શું મારી સંભાળ નહીં લો ? હે પ્રભુ ! અમારે તો એક તમારો જ આધાર છે. વળી દોહ્યલી વેળામાં, એટલે કે દુઃખદ સમયે અમે કોની આશા કરીએ ? કોને શરણે જઈએ ? આપના વિના અન્ય કોઈ સ્વરૂપમાં ભરોસો બેસતો જ નથી. માટે આપ જ અમારો આધાર છો. અમારી ગતિ છો. અને અમારે ઠરવાનું ઠામ છો. માટે એવું વિચારી વ્હેલા આવી આ દાસને તેડી આપની પાસે લઈ લો પ્રભુ, II૧ થી ૪ II રહસ્યઃ- પ્રસ્તુત પદમાં કવિની હૈયાવરાળ શબ્દે શબ્દે ઝરે છે. પ્રાર્થના નિખાલસતાના ભાવે રજૂ કરાઈ છે. ભગવાન એકવાર પોતાનો હાથ ઝાલશે પછી છોડી નહીં દે એવી કવિને ખાતરી છે. ભગવાનના બિરુદ ઉપર કવિને ઊંડો ભરોસો છે. કાવ્યમાં કવિની ભાવાભિવ્યક્તિ આકર્ષક છે. શબ્દોમાં કોમળતા, ૠજુતા, અને મધુરતા સહજપણે ઊતરી આવે છે. પદોનો રાગ મેવાડો છે. મેવાડો રાગ વિરહપ્રધાન છે. મેવાડો રાગ વધુમાં વધુ લાંબા ઢાળથી ગવાય છે. અંતિમ ઘડીનો શ્વાસ પણ લાંબો હોય છે. જેને લોકો એક દંડો શ્વાસ કહે છે. આ રાગ ગાવામાં પણ શ્વાસને વધુ ઘૂંટવો પડે છે. એટલે કવિની રાગ પસંદગી પણ ઉચિત છે. વળી, પ્રસ્તુત પદના ચોથા પદમાં ભક્તની ભાવાત્મક અરજી ભગવાને સાંભળી અને મુક્તમુનિની અંતકાળે સાર લીધી છે. તેની ખાતરી આ શબ્દોથી થાય છે. “ભલેને પધાર્યા રે ગિરિધર ગાજતા રે, લીધી છેલછબીલે મારી સાર.” આમ, અનેક શબ્દોથી પ્રસ્તુત પ્રસંગે જ આ કીર્તન રચાણું છે. એવું નક્કી થાય છે. શબ્દો વિરહ અને વિનંતી પ્રધાન છે. ઢાળ સહેલો છે. અને તાલ કહરવા છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી