પ્રગટ પુરુષોત્તમનો મહિમા, ધારો ને વિચારો જોને ;૯/૯

 પ્રગટ પુરુષોત્તમનો મહિમા, ધારો ને વિચારો જોને;
	ધન્ય અહો આ હરિ ભજ્યાનો, અવસર આવ્યો સારો જોને...૧
મંગળ મૂર્તિ મોહનવરની, અંતરમાં ઉતારો જોને;
	જાણરૂપ દરવાજે રહીને, કામ ક્રોધને મારો જોને...૨
સમજીને સત્સંગી થઈએ, લાભ અલૌકિક લેવા જોને;
	હરિકથા ને કીર્તન કરીએ, સદાય સુખના મેવા જોને...૩
તન મન અંતર સ્વચ્છ કરીને, સાચા સેવક થઈએ જોને;
	દાસનારાયણ હરિ ભજીને, હરિ સમીપે જઈએ જોને...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

ધીરજ ધર તું અરે અધીરા

રચયિતા

નારાયણદાસ

ઉત્પત્તિ

શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની તવારીખનું એક ઉજજવલ પાનું, અસ્પૃશ્ય ગણાતી વણકર જ્ઞાતિમાં જન્‍મેલા ભકતવર્ય શ્રી તેજોભગત અને તેમના અગ્રગણ્‍ય શિષ્‍ય ભકતકવિ નારાયણદાસને બેશક ગણી શકાય. ભગવાન શ્રી સ્‍વામિનારાયણ અનંત જીવોનું કલ્‍યાણ કરવા માટે જયારે આ લોકમાં પ્રગટ થયા ત્યારે તેમણે સ્‍ત્રી પુરુષ, ઉંચનીય કે ગરીબ - તવંગર એવા કોઈ ભેદભાવ ભાળ્‍યા વિના આત્‍યંતિક કલ્‍યાણનું સદાવ્રત ખોલી સર્વે જીવોને સુખિયા કર્યા હતા. વડોદરા શહેરની ઉત્તર પાદરે આવેલું છાણી ગામ આમ તો બહુધા બ્રાહ્મણો અને પટેલોની વસ્‍તી માટે જાણીતું છે. પરંતુ ગામની બહાર આવેલા વણકર વાસમાં આશરે સો જેટલા વણકર જાતિના હરિજનોના ઘર છે. સંવત ૧૮ર૪માં છાણીની વણકર જ્ઞાતિમાં એક મહામુકતનો જન્‍મ થયો. તેમનું નામ તેજાભગત હતું. તેજાભગત જન્‍મસિદ્ધ મુકત હતા. સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્‍વામીના તેઓ અત્‍યંત કૃપાપાત્ર શિષ્‍ય હતા. તેજાભગત છાણીમાં પોતાની જ્ઞાતિના અનેક હરિજનોને સમાસ કરાવી શ્રીહરિના આશ્રિત કર્યા હતા. શ્રીજીમહારાજ જયારે વડતાલમાં રહી ગોમતી ગળાવતા હતા, ત્‍યારે તેજાભગત અને તેમના સત્‍સંગ મંડળે એ કાર્યમાં પોતાનું ખૂબ જ મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું. સંવત ૧૮૮રમાં મહારાજ સયાજીરાવ (બીજા)ના આગ્રહભર્યા આમંત્રણને માન આપીને શ્રીજીમહારાજ વડોદરા પધાર્યા. ત્‍યારે તેજાભગતે પોતાના સત્‍સંગમંડળ સાથે શ્રીજીમહારાજનું છાણીમાં ભાવભીનું સામૈયું કરી શ્રીહરિની અપ્રતિમ પ્રસન્નતા પ્રાપ્‍ત કરી હતી. એ પ્રસંગે શ્રીજીમહારાજે તેજાભગતને એમની એકોતેર પેઢી સહિત એમનું આત્‍યંતિક કલ્‍યાણ કરવાનું વરદાન આપ્‍યું હતું. શ્રીજીમહારાજ જયારે જયારે વડતાલ પધારતા ત્‍યારે તેજાભગત તેમના સત્‍સંગમંડળ સાથે શ્રીહરિના દર્શન સેવા સમાગમ માટે તત્‍કાળ ત્‍યાં પહોંચી જતા. એકવાર વડતાલમાં શ્રીજીમહારાજ રામપ્રતાપભાઈના બંગલામાં સ્‍નાન કરવા બિરાજયા હતા, ત્‍યારે નાળ વાટે મહારાજનું સ્‍નાનોદક બહાર રસ્‍તા ઉપર પડતું હતું. એ વખતે તેજાભગત મંદિર સામેના ઓટલા ઉપર બેઠા હતા. તેમણે બ્રહ્મચારીને પૂછયું: 'આ પાણી કયાંથી આવે છે?' બ્રહ્મચારીએ કહ્યું‍: એ તો શ્રીજીમહારાજ સ્‍નાન કરે છે તેનું પાણી પડે છે.' આ સાંભળીને તેજાભગત બોલ્‍યાઃ 'અરે... આ પાણી ન કહેવાય. આ તો સાક્ષાત ઉન્‍મત ગંગા છે.'એમ કહીને તેજાભગત દોડીને એ પ્રસાદીના જળમાં મહિમાસહ સ્‍નાન કરવા મંડયા. સાક્ષાત પુરુષોત્તમનારાયણના ચરણામૃતધારામાં સ્‍નાન કરવાની સાથે જ તેજાભગતને સહજ સમાધિદશા પ્રાપ્‍ત થઈ ગઈ. ત્‍યારપછી તો અવારનવાર એમને ઘણીવાર સમાધિ થતી. એટલું જ હીં તેઓને એ પછી નિરાવરણ દ્રષ્‍ટિ પણ પ્રાપ્‍ત થઈ ગઈ. તેજાભગતે માત્ર છાણીમાં જ નહીં, આજુબાજુના નાના નાના ગામો જેવા કે પોઇચા, સાંકરદા, પીલોલ, ભાદરવા તથા વાસણા વગેરે ગામોમાં પણ સત્‍સંગનો ખૂબ પ્રચાર અને પ્રસાર કર્યો. તેજાભગત ૧૦પ વરસનું આયુષ્‍ય ભોગવી સં. ૧૯ર૯માં અક્ષરધામ સિધાવ્‍યા. તેજાભગતને અનેક શિષ્‍યો હતા, તે પૈકી તેમણે ભકતકવિ નારાયણદાસ પ્રત્‍યે અનન્‍ય અનુરાગ હોવાથી તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્‍યા હતા. નારાયણદાસનો જન્‍મ સં. ૧૯૦પમાં ઉત્તરસંડામાં થયો હતો. તેમના પિતાનું નામ પૂંજાજી હતું. પૂંજાજીને બે પુત્રો હતા. નારાયણદાસ અને નરસિંહદાસ. પૂંજાજી ભગવાન સ્‍વામિનારાયણના અનન્ય ઉપાસક હતા, તેથી નારાયણદાસને સત્‍સંગના સંસ્‍કાર બાલ્‍યકાળથી જ અનાયાસે સાંપડયા હતા. નારાયણદાસ પૂર્વના મોટા મુકત હતા. તેઓ કિશોરાવસ્‍થાથી જ અવારનવાર એકલા વડતાલ દર્શને જતા. ત્‍યાં તેમને છાણીના મહામુકત તેજાભગતનો પરિચય થયો. તેજીને તો ટકોર જ બસ છે, એ કહેવત મુજબ નારાયણદાસ તત્‍કાળ તેજાભગતના મંડળમાં જોડાઈ ગયા. નારાયણને તેમની ર૪ વરસની ઉંમર સુધી તેજાભગતનો યોગ રહ્યો‍. નારાયણદાસ જન્‍મજાત સિદ્ધહસ્‍ત લોકકવિ હતા. તેમની રચનાઓ સીધી અંતરના ઉંડાણમાંથી પ્રગટતી હોવાથી સાંભળનારના હૈયામાં સોંસરી ઉતરી જતી. છતાં પણ પિંગળના વિશેષ જ્ઞાન માટે તેઓ અવારનવાર સંત કવિ જગદીશાનંદ બ્રહ્મચારી પ��સે જતા. નારાયણદાસ છાણીના ભકતોના આગ્રહને વશ થઈને સત્‍સંગના સમાસ અર્થે સં. ૧૯૭૬માં કાયમ માટે છાણી જઈને વસ્‍યા. ત્‍યાંના વણકર ભકતોએ એક મકાન વેચાતું લઈ તેમને રહેવા આપ્‍યું હતું. તેઓ આજીવિકા અર્થે હાથવણાટનાં ધોતિયાં, ચાદર, ગજીયાં વગેરેની ફેરી કરીને વેચાતા હતા. તેજાભગતે છાણી અને એની આજુબાજુના ગામોમાં પ્રવર્તાવેલા સત્‍સંગને નારાયણદાસે નવપલ્‍લવિત કર્યો. પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમા ઉઠી સ્‍નાન-સંઘ્‍યા પતાવી મંદિર જઈ આરતી-ધૂન-ભજન તથા કથાવાર્તા કરતા. નારાયણદાસના ઉપદેશને તેમના યોગમાં આવેલા. વણકર ભકતોએ પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને માહાત્‍મ્‍યે સહિત શ્રીહરિની નિષ્‍કામ પ્રેમલક્ષણાં ભકિતને આત્‍મસાત કરી હતી. નારાયણદાસ ઉત્તરાવસ્‍થામાં ઘરભંગ થયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેઓ આખો દિવસ સત્‍સંગની પ્રવૃતિમાં તથા કાવ્‍ય રચના જેવી સર્જનાત્‍મક પ્રવૃતિમાં વ્‍યસ્‍ત રહેતા. પરિણામે તેજાભગતના એક વંશજ દલસુખ નામના યુવાનને તેમની અંગત સેવામાં રાખવામાં આવ્‍યો. દલસુખ દિલ લઈને ભકતકવિની સેવા કરતો, તેથી નારાયણદાસના અંતરમાં પણ દલસુખ પ્રત્‍યે પુત્રવત પ્રેમ પાંગર્યો હતો. સં. ૧૯૯૧માં નારાયણદાસે દલસુખને બોલાવીને કહ્યું: '૧૯૯રની શ્રાવણ સુદી જન્‍માષ્‍ટમીના દિવસે સાંજે પાંચ વાગે હું ધામમાં જઈશ.' વરસ પછી એ દિવસ આવી પૂગતા નારાયણદાસ ધામમાં જવાની, તૈયારી રૂપે ઘ્‍યાનમાં બેસી ગયા. જેમ સમય વીતવા લાગ્‍યો, તેમ એક પછી એક નાડી તૂટવા લાગી, શ્વાસ ચડવા લાગ્‍યો અને અંતિમ પળ નજીક આવી ગઈ. ત્‍યાં તો દલસુખને હૈયું હાથમાં ન રહ્યું. તેણે 'દાદા...ઓ દાદા... તમે મને મૂકીને આમ ચાલ્‍યા ન જાઓ.' એમ બરાડતો પોંક મૂકીને રડવા લાગ્‍યો. થોડીવારમાં નારાયણદાસ ફરી પાછા સચેત થયા. ભાનમાં આવી તેમણે દલસુખને કીધું: 'દલસુખ, તેં આજે મને ધામમાં જતો અટકાવ્‍યો.' ભરતજીને જેમ મૃગનું બચ્‍ચું નડયું તેમ આજે તું મને નડયો. હવે હું ૧૯૯૩માં અષાઢ સુદ ચોથના દિવસે સવારે નવ વાગે ધામમાં જઈશે.' ઇતિહાસ સાક્ષી છે, નારાયણદાસ સં. ૧૯૯૩ના અષાઢ સુદ ચોથે સવારે નવ વાગે સ્‍વતંત્રપણે ધામમાં પધાર્યા‍. તેમની અંતિમ યાત્રા છાણી ગામમાં નીકળી ત્‍યારે તેમનું શિષ્‍યમંડળ ઢોલક મંજિરા સાથે નારાયણદાસ રચિતભકિતબોધનું પદ 'પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારોજી...' ગાતું હતું. નારાયણદાસ રચિત કીર્તનોનુ પુસ્‍તક 'ભકિતપ્રકાશ' સં. ૧૯૯૪માં પ્રકાશિત થયું હતું.

વિવેચન

આસ્‍વાદઃ પ્રસ્‍તુત બોધપ્રધાન પદમાં ભકતકવિ નારાયણદાસ પ્રગટની ભકિતનો મહિમા મર્મભરી વાણીમાં રજૂ કરે છે. પદનો ઉપાડ અત્‍યંત આકર્ષક છે. પ્રગટ અને પ્રત્‍યક્ષ આ બે શબ્‍દોના અર્થઘટનમાં ભલભલા વિદ્વાનો પણ થાપ ખાઈ જાય છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણ આ લોકમાં પ્રગટ નહોતા થયાં ત્‍યારે પણ મુમુક્ષુઓ તો ભગવાન ભજતા જ હતાં, પરંતુ એ ભકિત પરમાત્‍માના પ્રતિનિધિ તરીકે આવેલા અવતારો, પેગમ્‍બરો તથા તીર્થકરોની થતી અને એની ફળશ્રુતિ તરીકે થતી પ્રાપ્‍તી પણ એ પ્રમાણેની જ રહેતી. ભગવાન શ્રી સ્‍વામિનારાયણનું પૃથ્‍વી ઉપર પ્રાગટય થયું એ પછી એમને ભજીને જે મુકતો આત્‍યંતિક કલ્‍યાણ પામ્‍યા તેમની પ્રાપ્‍તિ સર્વોચ્ચ હતી. શ્રીજીમહારાજ અત્‍યારે મનુષ્‍યરૂપે પ્રત્‍યક્ષ નથી, પરંતુ પ્રગટ તો છે જ. મહારાજ અને મુકત એકવાર પ્રગટ થયા પછી સદાય પ્રગટ જ રહે છે, કયારેય અપ્રગટ થતા નથી. અનંત કોટિ બ્રહ્માંડોમાં ભગવાન માત્ર એક જ છે, અને એ ભગવાનનો એવો મહિમા છે કે મુકત ભગવાનને જેવા જાણે છે એવો તો એ પોતે ભગવાનના પ્રતાપે થાય છે, છતાં પણ ભગવાન તો તેના માટે અગાધ જ રહે છે. આમ પરાત્‍પર પરબ્રહ્મ ભગવાન સ્‍વામિનારાયણનો મહિમા અપરંપાર છે. આપણે સૌ ધન્‍યભાગી છીએ કે આવા ભગવાનને ઓળખીને ભજવાના અવસરરૂપ સત્‍સંગ આપણને અનાયાસે સાંપડયો છે. કવિ નારાયણદાસે પ્રત્‍યેક ચરણમાં ઉત્તમ વિચાર મૌકિતકો ગૂંથ્‍યાં છે. દ્વિતીય ચરણમાં કવિ માણિગારની મંગલમૂર્તિને મનમાં ઉતારી આત્‍મસાત કરવાની લાખેણી સલાહ આપે છે. ઘ્‍યાન અને ભકિત એ બંને સાધનમાં વિઘ્‍નરૂપ કામ ક્રોધ ઇત્‍યાદિ અંતઃ શત્રુઓને કવિ સાક્ષીભાવ યાને જાગરૂકતા દ્વારા નાથવાનું સૂચન કરે છે. નારાયણદાસ એક જાગૃત કવિ છે. એમનો ઉપદેશ હૈયામાં આરપાર ઉતરી જાય એવો ચોટદાર છે, કારણ કે એમની વાણીની પાછળ એમના શુદ્ધ વર્તનનું પાણીદાર પીઠબળ છે. કવિ કહે છે સત્‍સંગી થવું તો સમજીને થવું, કુટુંબમાં બાપદાદાથી સત્‍સંગ ચાલ્‍યો આવે છે એટલે આપણે સત્‍સંગી એમ લોલેલોલ ન કરવું. સ્‍વામિનારાયણ મંદિરમાં જે સત્‍સંગી થાય તેને જમવામાં દરરોજ લાડુ દાળભાત શાક મફત મળે છે એ પ્રલોભનથી પણ ઘણાં ગરીબો સત્‍સંગી બને છે. સાચો સત્‍સંગી એ છે જેને હંમેશા હરિકથા અને કીર્તનભકિતમાં જ સાચું સુખ મનાય છે અને એમાં જ એને આનંદ આવે છે. સત્‍સંગના સાચા સેવક બનવા માટે તન અને મન એ બંને સ્‍વચ્‍છ, સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત હોવા અત્‍યંત આવશ્‍યક છે. પ્રત્‍યેક સત્‍સંગીનું અંતિમ ઘ્‍યેય તો મહારાજની મૂર્તિ છે, એને પામવા માટે અહોનિશ શ્રીજીમહારાજની પ્રસન્નતાના સાધનરૂપ ઘ્‍યાન ભજન કરવા જોઈએ. પદ અત્‍યંત પ્રાસાદિક અને સુગેય છે. ……………………………………………..

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી